આ શિક્ષકોને પરીક્ષા કામગીરી પહેલાં તાલીમમાં પણ હાજર રહેવું પડશે.શિક્ષણ સમિતિની શાળાઓ પહેલેથી જ શિક્ષકોની અછત અને વિવિધ વહીવટી પડકારો વચ્ચે સંચાલિત થઈ રહી છે. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં શિક્ષકો પૂરક પરીક્ષાની ફરજ માટે શાળાથી બહાર રહેશે તો વર્ગખંડમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધુ ઘટી શકે છે. પરિણામે નવા સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસથી જ શિક્ષકોને અનેક ફરજોના ચક્રવ્યૂહમાં ધકેલી દેવામાં આવ્યા હોવાથી સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પૂરતો સમય અને માર્ગદર્શન કોણ આપશે? જો શિક્ષકોનો મોટો હિસ્સો બિન-શૈક્ષણિક કામગીરીમાં જ વ્યસ્ત રહેશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરિણામો પર પડશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. શિક્ષણજગતમાં ચર્ચા છે કે શિક્ષકોને વારંવાર બિન-શૈક્ષણિક અને પરીક્ષા સંબંધિત ફરજોમાં જોડવાને બદલે શિક્ષણ કાર્યને પ્રાથમિકતા આપવાની જરૂર છે.